Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં હાલમાં કોરોનાના 83 સક્રિય કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં 76નો વધારો થયો છે. જોકે, અત્યાર સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડ તૈયાર કર્યા છે. લોકોને કોરોના સામે સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.
Gujarat Corona
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલમાં કોરોનાના 83 સક્રિય કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના સક્રિય કેસોમાં 76નો વધારો થયો છે. 19 મેના રોજ ગુજરાતમાં કોરોનાના 7 સક્રિય કેસ હતા. આમ, છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 14 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. કોરોનાને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી તે પણ વધુ રાહતની વાત છે. રાજ્યમાં મોટાભાગના કોરોના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
ગુજરાત ચોથા સ્થાને
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડ પોઝિટિવ વ્યક્તિના નમૂનાને જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવે છે. જેના આધારે નવા વેરિઅન્ટના લક્ષણો હાજર છે કે નહીં તે તપાસવામાં આવે છે. હાલમાં, નવા વેરિઅન્ટનો 1 કેસ નોંધાયો છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી પછી કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે.
