અમદાવાદમાં બપોરે એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું અને આખુ પ્લેન આગમાં બળીને ખાખ થઈ ગયુ હતુ. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના મોત થયા છે. વિમાન બપોરે 1.38 વાગ્યે લંડન માટે ઉડાન ભરી હતી. AI-171 વિમાન ટેકઓફ કર્યાના થોડી મિનિટોમાં જ ક્રેશ થયું હતું.
ફ્લાઇટમાં 242 મુસાફરો હતા, જેમાં 2 પાઇલટ અને 10 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.
વિમાનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીય અને 53 બ્રિટિશ નાગરિકો હતા. આ ઉપરાંત, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, જે પ્રકારના ફૂટેજ સામે આવ્યા છે તે જોતાં, આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ બચી શક્યો હોવાની શક્યતા ઓછી છે. સમાચાર એજન્સી એપીએ દાવો કર્યો છે કે વિમાનમાં સવાર તમામ 242 લોકોના મોત થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ તમામ અધિકારીઓના સંપર્કમાં છે. અમિત શાહે પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ દુર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે અમદાવાદ સીપી સાથે વાત કરી હતી.